ચતુર વેપારીઓ

એક ગામમાં કેટલાક વેપારીઓ રહેતા હતા. એમને માલ વેંચવા જુદા જુદા સ્થળે જવું પડતું. એક વખત તેઓ માલ વેંચવા જતા હતા ત્યારે ઘણું મોડું થઇ ગયું. એમને રાતના અંધારામાં જંગલમાંથી પસાર થવું પડ્યું. કેટલાક લૂંટારાઓએ એમનો માલ લૂંટી લીધો.

વેપારીઓ બહાદુર અને ચતુર હતા. એમણે એક યુક્તિ કરી. એમણે લૂંટારાઓને કહ્યુંકે તેઓ ઘણા સારા કલાકાર છે. તેઓ એક સરસ નાટક કરીને એમનું મનોરંજન કરશે. લૂંટારાઓ નાટક જોવા બેસી ગયા.

વેપારીઓએ નાટક શરુ કર્યું. સૌપ્રથમ એમણે ભરવાડનો વેશ લીધો અને ગાવા લાગ્યા:

“વેપારી કલાકાર આવે છે. ભરવાડનો વેશ લાવે છે”.

એમણે ભરવાડનો અભિનય કરીને લૂંટારાઓનું મનોરંજન કર્યું. પછી એમણે સુથાર, મોચી, લુહાર વિ. ના અભિનય કરીને લૂંટારાઓનું મનોરંજન કર્યું.

લૂંટારાઓ મોજમાં આવી વેપારીઓ સાથે નાચવા-ગાવા લાગ્યા. પછી વેપારીઓએ ચોર-પોલીસનું નાટક શરુ કર્યું. કેટલાક વેપારીઓ ચોર-લુંટારા બન્યા અને કેટલાક પોલીસ બન્યા. આ નાટકમાં એમણે બતાવ્યું કે પોલીસ આવીને લૂંટારાઓને પકડી જાય છે. વેપારી કલાકારો ગાવા લાગ્યા:

“વેપારી કલાકાર આવે છે. ચોરનો વેશ લાવે છે. જલ્દી દોડો ભાઈ જલ્દી દોડો, જઈ પોલીસને જાણ કરો”.

કેટલાક વેપારીઓ શહેરમાં ગયા અને અસલી પોલીસને લૂંટારાઓ વિષે જાણ કરી. અસલી પોલીસ વેપારીઓની સાથે જયાં નાટક થતું હતું એ જગ્યાએ આવ્યા .

હવે વેપારી કલાકારો ગાવા લાગ્યા:

“વેપારી કલાકાર આવે છે. પોલીસનો વેશ લાવે છે”.

જે વેપારીઓએ પોલીસનો વેશ લીધો હતો તેઓ આવ્યા. લૂંટારાઓ સમજ્યા કે આ તો નાટકનો જ એક ભાગ છે એટલે તેઓ કલાકારો સાથે નાચવા લાગ્યા. ત્યારે જ અસલી પોલીસ આવ્યા અને લૂંટારાઓને પકડી લીધા. હજી પણ લૂંટારાઓ એમ જ માનતા હતા કે આ તો નાટકનો જ એક ભાગ છે! પોલીસ લૂંટારાઓને જેલમાં લઇ ગયા અને વેપારીઓને એમનો માલ પાછો મળી ગયો.આમ બહાદુર અને ચતુર વેપારીઓએ એમનો માલ પાછો મેળવ્યો અને લૂંટારાઓને પણ પકડાવી દીધા. 

આપણે ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં (જેમ કે અહીં વેપારીઓ લૂંટાઈ ગયા) પણ ગભરાવું ન જોઈએ. આપણે બહાદુરીથી પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ અને ચતુરાઈપૂર્વક સાચા નિર્ણય લેવા જોઈએ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,395FansLike
75FollowersFollow
109FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles